અમદાવાદની એમ.કે. શાહ મેડિકલ કોલેજ (MK Shah Medical College Ahmedabad)માં પીજી વિદ્યાર્થીઓ સાથે રેગિંગ અને માનસિક સતામણીનો ગંભીર મામલો સામે આવતા સમગ્ર શૈક્ષણિક જગતમાં ખળભળાટ મચી ગયો છે. કોલેજના ઓર્થોપેડિક વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. તીર્થ પટેલ સામે વિદ્યાર્થીઓ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.
પીડિત પીજી વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, ડૉ. તીર્થ પટેલ દ્વારા સતત માનસિક ટોર્ચર અને રેગિંગ કરવામાં આવી રહી હતી. આ મામલે વિદ્યાર્થીઓ દ્વારા મોકલવામાં આવેલો એક ઈ-મેઈલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના કારણે મામલો વધુ ગરમાયો છે.
આ સમગ્ર ઘટનાને લઈને કોલેજના ડીને રેગિંગ મુદ્દે ખુલાસો કર્યો છે. ડીનના જણાવ્યા મુજબ, ફરિયાદ કરનાર 10 વિદ્યાર્થીઓ છેલ્લા 5 દિવસથી કોલેજ આવ્યા જ નથી. સાથે જ તેમણે એવો દાવો કર્યો કે વિદ્યાર્થીઓના આરોપોની તપાસ માટે 3 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે અને સમગ્ર મામલે તપાસ ચાલુ છે.
ડીન દ્વારા વધુમાં જણાવાયું છે કે,
-
ફરિયાદ કરનાર વિદ્યાર્થીઓના વાલીઓને જાણ કરવામાં આવી છે
-
વિદ્યાર્થીઓના તમામ આરોપોની તપાસ કરવામાં આવી રહી છે
-
ફરિયાદ કરનાર વિદ્યાર્થીઓના નિવેદન લેવામાં આવશે
આ મામલો ગંભીર બનતા કોલેજ પ્રશાસન દ્વારા ડૉ. તીર્થ પટેલને તાત્કાલિક રજા પર ઉતારી દેવાયા છે, જેથી તપાસમાં કોઈ પ્રભાવ ન પડે.
અમદાવાદની MK શાહ મેડિકલ કોલેજમાં રેગિંગ કેસ હવે રાજ્યના શિક્ષણ અને આરોગ્ય વિભાગ માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. શિક્ષણવિદો અને તબીબી વર્તુળોમાં આ ઘટના અંગે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.