સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજચોરી ડામવા માટે પોલીસે અત્યાર સુધીનું સૌથી મોટું અને હટકે ઓપરેશન પાર પાડ્યું છે. ખનિજ માફિયાઓ સુધી સરકારી અધિકારીઓની મૂવમેન્ટની વિગતો પહોંચાડતા એક બહુ મોટા ‘રેકી નેટવર્ક’નો પર્દાફાશ થયો છે. ખાણ-ખનિજ વિભાગ અને પ્રાંત અધિકારીની કચેરી બહાર વોચ રાખીને માફિયાઓને બાતમી આપતા 42 જેટલા શખ્સોની મધરાતે ધરપકડ કરવામાં આવી છે. પોલીસની આ ઓચિંતી કાર્યવાહીથી ખનન માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
![]() |
| surendranagar-mining-mafia-racket-network-busted-42-arrested |
માફિયાઓનું હાઈટેક જાસૂસી નેટવર્ક
સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા પાયે ચાલતી ખનિજચોરી પાછળ અધિકારીઓની રેડ કેમ નિષ્ફળ જતી હતી, તેનો આખરે મોટો ધડાકો થયો છે. ખનિજ માફિયાઓએ સરકારી તંત્રની જાસૂસી કરવા માટે આખું નેટવર્ક ઊભું કર્યું હતું. પોલીસ સ્ટેશનો, ખાણ-ખનિજ વિભાગની કચેરી તેમજ ચોટીલા પ્રાંત અધિકારીની કચેરી બહાર આ માફિયાઓના માણસો સતત રેકી કરતા હતા.
મધરાતે ઓપરેશન અને 42ની ધરપકડ
જ્યારે પણ કોઈ અધિકારીની ગાડી રેડ કરવા માટે કચેરી બહાર નીકળે, ત્યારે આ બાતમીદારો તુરંત જ ખનિજ માફિયાઓને એલર્ટ કરી દેતા હતા. આ નેટવર્કને તોડી પાડવા માટે પોલીસે ગતરાત્રિથી એક ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું. મધરાતે ત્રાટકેલી પોલીસે કચેરીઓ બહારથી રેકી કરતા 42 ઇસમોને રખેવાળી કરતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી 70થી વધુ મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે, જેનાથી તેઓ લોકેશન અને મેસેજ શેર કરતા હતા.
કાયદાનું ભાન કરાવતી સુરેન્દ્રનગર પોલીસ
પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ સરકારી ફરજમાં રૂકાવટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે તમામ આરોપીઓની કડક પૂછપરછ શરૂ કરી છે અને તેમને કાયદાનું ભાન કરાવ્યું છે. આ ઓપરેશન બાદ હવે મુખ્ય ખનિજ માફિયાઓ કોણ છે અને આ નેટવર્ક કોના ઈશારે ચાલતું હતું તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત ખનિજચોરી કરનારાઓ નહીં, પણ તેમને પ્રોટેક્શન આપનારા અને તંત્રની રેકી કરનારાઓ પર આ પ્રકારની કડક કાર્યવાહી થઈ છે. આ ઓપરેશનથી હવે આગામી દિવસોમાં ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ પર મોટી લગામ લાગશે તેમ માનવામાં આવી રહ્યું છે.
"અધિકારીઓ નીકળે એ પહેલા માફિયાઓ ગાયબ! સુરેન્દ્રનગર પોલીસે આખરે તંત્રની અંદર અને બહાર ચાલતી આ જાસૂસીની કમર તોડી નાખી છે. 42 બાતમીદારો અને 70 મોબાઈલ ફોન - આ આંકડો દર્શાવે છે કે માફિયાઓ કેટલા સંગઠિત હતા. શું આ કાર્યવાહી બાદ સુરેન્દ્રનગરમાં વહેતી કાળી કમાણીની નદીઓ સુકાશે ખરી?
