ગુજરાતની ધરતી અને ગુજરાતીઓની અસ્મિતા પર ફરી એકવાર રાજકીય પ્રહાર થયો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના એક નિવેદને રાજ્યમાં આક્રોશની જ્વાળા ભભકાવી દીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિવેદનને માત્ર અશોભનીય નહીં, પણ કોંગ્રેસની 'બિમાર માનસિકતા'નું પ્રતીક ગણાવ્યું છે. 6.5 કરોડ ગુજરાતીઓને નિશાન બનાવતી કોંગ્રેસની આ જૂની આદત હોવાનો આક્ષેપ કરતા મુખ્યમંત્રીએ સવાલ કર્યો છે કે, શું આ નિવેદન ખડગેજીનું છે કે રાહુલ ગાંધીએ લખીને આપ્યું છે? ગાંધી અને સરદારના અપમાનથી લઈને નર્મદા ડેમના વિરોધ સુધીના ઈતિહાસને ટાંકીને ભાજપે કોંગ્રેસને પાંજરામાં ઉભી કરી છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના તાજેતરના નિવેદન બાદ ગુજરાતમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. ભાજપનો આરોપ છે કે કોંગ્રેસે જાણીજોઈને ગુજરાતના 6.5 કરોડ નાગરિકોનું અપમાન કર્યું છે. મુખ્યમંત્રીએ આ નિવેદનને અત્યંત આપત્તિજનક અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે.
कांग्रेस के राष्ट्रीय अध्यक्ष श्री मल्लिकार्जुन खड़गे जी द्वारा गुजरात के लोगों के संदर्भ में दिए गए बयान अत्यंत आपत्तिजनक और दुर्भाग्यपूर्ण हैं।
— Bhupendra Patel (@Bhupendrapbjp) April 5, 2026
इस प्रकार की टिप्पणी न केवल 6 करोड़ गुजरातवासियों का अपमान है, बल्कि महात्मा गांधी और सरदार पटेल की पावन धरती की गरिमा को भी ठेस…
મુખ્યમંત્રીએ કોંગ્રેસના ઈતિહાસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, આ પાર્ટીએ હંમેશા ગુજરાતના સપૂતોની ઉપેક્ષા કરી છે. સરદાર સાહેબને ભારત રત્ન ન આપીને વર્ષો સુધી અપમાનિત કર્યા અને વાઈબ્રન્ટ સમિટ વખતે ઉદ્યોગોને ઈન્કમ ટેક્સની નોટીસો અપાવી ગુજરાતના વિકાસને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
નર્મદા અને મોદીનું અપમાન
મુખ્યમંત્રીએ યાદ અપાવ્યું કે જે નર્મદા ડેમના દરવાજા મૂકવાની મંજૂરી કોંગ્રેસે વર્ષો સુધી ન આપી, તે મંજૂરી પીએમ મોદીએ કાર્યભાર સંભાળ્યાના માત્ર 17મા દિવસે આપી હતી. મોદીજીને 'મોતના સૌદાગર' કહીને પ્રજાની લાગણી દુભાવનાર કોંગ્રેસની માનસિકતા આજે પણ બદલાઈ નથી.
ગુજરાતનું વૈશ્વિક યોગદાન
જ્યારે કોંગ્રેસ ગુજરાતને કોસે છે, ત્યારે તે ભૂલી જાય છે કે ગુજરાતે જ મહાત્મા ગાંધી, ઝવેરચંદ મેઘાણી, વિક્રમ સારાભાઈ અને મોરારજી દેસાઈ જેવા વિરલ વ્યક્તિત્વ આપ્યા છે. આજે ગુજરાત દેશનું 40% કાર્ગો હેન્ડલ કરે છે અને ગિફ્ટ સિટી તેમજ રિન્યુએબલ એનર્જીમાં વિશ્વનું હબ બની રહ્યું છે.
ભાજપના મતે 5 રાજ્યોની વિધાનસભા અને ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાર ભાળી ગયેલી કોંગ્રેસ હવે બોખલાઈ ગઈ છે. રાજનીતિમાં વૈચારિક મતભેદ હોય તે સમજી શકાય, પરંતુ આખા રાજ્યની જનતાને નિશાન બનાવવી તે કોંગ્રેસની પરાજિત માનસિકતા છતી કરે છે.
મુખ્યમંત્રીના વેધક સવાલો
મુખ્યમંત્રીએ સીધો સવાલ કર્યો છે કે, "જ્યાં સુધી તમે જીતતા હતા ત્યાં સુધી ગુજરાતીઓ સારા હતા, અને હવે હાર્યા એટલે ગુજરાતીઓ અભણ થઈ ગયા?" તેમણે ખડગેજીને પૂછ્યું કે આ નફરતનું મૂળ શું છે અને આ ભાષા તેમની પોતાની છે કે રાહુલ ગાંધીએ આપેલી સ્ક્રિપ્ટ?
ગુજરાતની અસ્મિતા પર જ્યારે પણ પ્રહાર થાય છે, ત્યારે અહીંની જનતાએ હંમેશા લોકશાહીના માધ્યમથી જડબાતોડ જવાબ આપ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય સરકારની આ આકરી પ્રતિક્રિયા દર્શાવે છે કે હવે ગુજરાત પ્રત્યેનું કોઈ પણ નકારાત્મક નિવેદન સહન કરવામાં આવશે નહીં. ગુજરાતીઓ પોતાની મહેનત અને ખંતથી આજે વિશ્વભરમાં ડંકો વગાડી રહ્યા છે. વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા બનવા તરફ જ્યારે ભારત આગળ વધી રહ્યું છે, ત્યારે ગુજરાત તેનું મુખ્ય એન્જિન સાબિત થઈ રહ્યું છે.
રાજકારણમાં શબ્દોની મર્યાદા હોવી જોઈએ, અને જ્યારે રાષ્ટ્રીય સ્તરના નેતાઓ કોઈ ચોક્કસ રાજ્યના નાગરિકોને નિશાન બનાવે છે, ત્યારે તે રાષ્ટ્રીય એકતા માટે જોખમી સાબિત થાય છે. ગુજરાતીઓએ હંમેશા સર્વધર્મ સમભાવ અને રાષ્ટ્ર પ્રથમની ભાવનાને વરેલા રહ્યા છે. ગાંધી-સરદારના વારસાને જાળવી રાખવા માટે પીએમ મોદીના નેતૃત્વમાં ગુજરાત જે ગતિએ પ્રગતિ કરી રહ્યું છે, તે વિરોધ પક્ષો માટે કદાચ પચાવવું અઘરું છે. પરંતુ, વિકાસની આ યાત્રા અટકશે નહીં. કોંગ્રેસે આત્મમંથન કરવાની જરૂર છે કે શા માટે જનતા તેમને વારંવાર નકારી રહી છે. ગુજરાતીઓને અપમાનિત કરવાને બદલે જો જનતાના પ્રશ્નોને સમજવાની કોશિશ કરી હોત, તો કદાચ આજે કોંગ્રેસની આ અવસ્થા ન હોત. હવે જનતાની અદાલતમાં જ આ નિવેદનોનો ન્યાય થશે.
Read Also : કોરોનાનો નવો વેરિઅન્ટ ‘સિકાડા’નો ખતરો? શું ફરી આવશે માસ્કનો સમય
